ધાનેરા તાલુકાના જોરાપુરામાં સપ્તાહ અગાઉ માતા- પુત્રના મૃત્તદેહ પાણી ભરેલા હોજમાંથી મળી આવ્યા હતા. જેમાં બંનેનું મોત શંકાસ્પદ હોવાની તેણીના ભાઇએ પોલીસ મથકે રજૂઆત કરી હતી. જેના પગલે ગુરૂવારે બંનેના મૃતદેહ બહાર કાઢી પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં અનેક તર્કવિર્તક વહેતા થયા હતા.
ધાનેરાના પોપટભાઈ ભટોરની પુત્રી હેતલના લગ્ન ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે કિરતભાઇ ગલચર સાથે સમાજના રીત રીવાજ પ્રમાણે કરાયા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન પુત્રી કાવ્યા (ઉ.વ. 1) નો જન્મ થયો હતો. જોકે, તારીખ 6 સપ્ટેમ્બર 2022ના દિવસે માતા- પુત્રીના મૃતદેહ પાણીના હોજમાંથી મળી આવ્યા હતા. અને જેમના મૃતદેહો સ્મશાનમાં દફન કરાયા હતા.
આ દરમિયાન એક વિડિયો પિયરપક્ષના ધ્યાને આવ્યો હતો. જેમાં હેતલના ભાઇએ બંનેના મોત શંકાસ્પદ હોવાની ધાનેરા પોલીસ મથકે રજૂઆત કરી હતી. આથી ગુરૂવારે થરાદ એએસપી પુજા યાદવ, ધાનેરા પ્રાંત અધિકારી સહિતની ટીમે માતા- પુત્રીના મૃતદેહો જમીનમાંથી બહાર કાઢી પી.એમ. અર્થે અમદાવાદ મોકલ્યા હતા.રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે