ધાનેરા તાલુકામાં રવિ સિઝનમાં વાવણીની શરૂઆત થતાં ધાનેરામાં કેટલાક ખાતર, બિયારણના વેપારીઓ પણ ખેડૂતોને લુંટવાના કારસા સાથે સક્રિય બની ગયા છે અને ખેડૂતોને ડી.એ.પી. ખાતરના બદલે સરદારના નામે ભળતા નામથી જે ખરેખર ખાતર નથી તેવું ભટકાવી રહ્યા હોવાની ફરિયાદો ઉભી થવા પામી છે. અગાઉ પણ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
અભણ ખેડૂતોને ઠગવામાં આવી રહ્યા છે આવા વેપારીઓ સામે કડક પગલાં લેવા જોઇએ. પરંતુ અધિકારીઓ આવા લોકો સામે કોઇ કાર્યવાહી કરતા નથી. ઉનાળામાં એક જોરાપુરાના ખેડૂતને બાજરીનું બિયારણ ખરાબ નિકળતા તે ખેડૂતે ખેતીવાડી અધિકારીને રજુઆત કરી હતી અને તે તપાસ પણ અભરાઇએ ચડાવી દેવામાં આવી છે. ખરેખર આ જગતના તાત સાથે ખોટું કરનાર અને તેને છાવરનારને કુદરત ક્યારેય માફ નહી કરે. > મગાભાઇ પટેલ (ખેડૂત)
ખાતર, બિયારણ સરકારી મંડળી કે સંઘમાંથી ખરીદવા જ્યારે પણ બિયારણ કે ખાતરની ખરીદી કરવાની થાય તો સહકારી મંડળીઓ કે તાલુકા સંઘમાંથી જ ખરીદવા જોઇએ. જેથી કોઇ ડુપ્લીકેટ થવાના પ્રશ્નો ન આવે માટે આવા કોઇ ડુપ્લીકેટ માલ આપતા હોય તો તેમની સામે પોલીસને જાણ કરવી જોઇએ. જેથી આવા લોકો ખુલ્લા પડે અને બીજા ખેડૂતો લૂંટાતા બચી શકે. >જેસુંગભાઇ પટેલ (કિસાન આગેવાન)