માવઠા જેવા વાતાવરણને અનુલક્ષીને ખેડુત મિત્રોએ તકેદારી રાખવા બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીની અપીલ
રાજ્યમાં તા.૩૦/૧૧/૨૦૨૧ થી તા.૦૨/૧૨/૨૦૨૧ દરમિયાન તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલ છે. જેના કારણે આગામી દિવસોમાં ખેડુતોને રવિ પાકોમાં રોગ જીવાત સામે રક્ષણ માટે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી, પાલનપુર, શ્રી પી. કે. પટેલે નીચે મુજબના પગલાં લેવાં જણાવ્યું છે.
માવઠા જેવું વાતાવરણ હોવાના કારણે શાકભાજી, જીરૂ, ધાણા, ઘઉં તેમજ રાયડાના પાકમાં અત્યારે પિયત આપવાનું મુલતવી રાખવુ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી, કાપણી કરેલ પાક ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવો, ફુગજન્ય રોગના લક્ષણો જણાય તો ફુગનાશક દવાનો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ છંટકાવ કરવો, દિવેલા પાકમાં ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ઉભા પાકમાં એકલ દોકલ દેખાતી ઇયળ વિણાવી નાશ કરવો તેમજ છોડ દીઠ ચાર ઇયળો જોવા મળે ત્યારે સ્પીનોસાદ ૩ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી. કે. પટેલે જણાવ્યું છે.