(માહિતી બ્યુરો, પાલનપુર)
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વો બહારના જિલ્લા/રાજયમાંથી આવી અત્રે ઘરઘાટી તરીકે ગુપ્ત આશરો મેળવી પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે તેમજ માનવ જિંદગી ખુવાર થાય અને લોકોની તથા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે. મહદઅંશે આવા ઘરઘાટી પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહે છે.આવા ઈસમોની કોઈ માહિતી કે વિગતો મકાન માલિકો પાસે હોતી નથી. જેથી ગુનાઓ કર્યા બાદ આવા ઈસમોની અટક કરવી મુશ્કેલ બની જાય છે તેમજ આવા ઘરઘાટી તરીકે કામ કરતા લોકો ઉપર વોચ રાખી શકાતી નથી. વળી, મકાન માલિકો આવા ઈસમોની માહિતી રાખવા કે પોલીસને માહિતી આપવા બાબતે ગંભીર જણાતા નથી.
શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ હુકમ કરવામાં આવે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઇ મકાન માલિકો ધ્વારા કોઇપણ વ્યક્તિને ઘરઘાટી તરીકે રાખવામાં આવે ત્યારે આવા ઇસમો અંગે જરૂરી માહિતી ફોટોગ્રાફ્સ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
ઘરઘાટીનું પુરુ નામ અને સરનામું, ઘરઘાટીનું બનાસકાંઠા જિલ્લાનું સરનામું, તેની સાથેના માણસની વિગત, જેના ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હોય તેનું નામ સરનામું (બે ત્રણ તમામ મકાન માલિકોના નામ તથા ઘરઘાટી તરીકેનો સમયગાળો) બાહેંધરી અગર જેના મારફત ઘરઘાટી તરીકે રાખેલ તેનું નામ સરનામું, અગાઉ રસોયા/ઘરઘાટી તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું, બનાસકાંઠા જિલ્લામાં ઓળખીતાના નામ અને સરનામા તથા મોબાઇલ નંબર, વતનનું સરનામુ પો.સ્ટે. સહિત તથા વતનામાં રહેતા ભાઇ બહેન માતા પિતાના નામો, પરણિત હોય સાસરીનું નામ સરનામું, ઘરઘાટીનું ચહેરા નિશાન, ઉંમર, ઉંચાઇ, વર્ણન, અભ્યાસ વિ. (ઓળખી શકાય તેવી નિશાની) આ હુકમ તા.૦૫/૧૧/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ તથા ગુ.પો.અધિ.ક. ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.