દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓ માં શેરડી કાપણીના પ્રવાસી આદીવાસી ગરીબ મજુરોનું લઘુતમ વેતન ન ચૂકવીને ૯૧ કરોડ રૂપિયાનું શોષણ.
રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ
દેશમાં વસતા દરેક લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે અનેક પ્રકારના વ્યવસાયમાં રોકાયેલ હોય છે અને મજૂરી કરી રહ્યા છે ,મજૂરોનું શોષણ ન થાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા મજૂર કાયદો બનાવવામાં આવ્યો છે અને એમાં લઘુતમ વેતન નક્કી કરવાની જોગવાઈ કરવામાં આવી છે તેથી ઓદ્યોગિક તથા અન્ય કેટલાક ઉત્પાદકીય વ્યવસાયોમાં કામ કરતા મજૂરોનું આર્થિક શોષણ થતું અટકી શકે .ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં શેરડીના ઉત્પાદન થકી ખાંડનું ઉત્પાદન ખૂબ મોટા પ્રમાણમાં થાય છે.અને ગુજરાતના ડાંગ, વલસાડ ,તાપી, સુરત, વલસાડ, નર્મદા, તેમજ મહારાષ્ટ્રના સાક્રી, ધુલિયા, નંદુરબાર, અક્કલકુવા, ધડગાવ, શિરપુર,ચાલીશગાવ તથા મધ્ય પ્રદેશના બળવાની જિલ્લામાંથી મજૂરો શેરડી કાપવા માટે સ્થળાંતર કરે છે, મજુરોના લઘુતમ વેતન અને અન્ય સમસ્યાઓ મુદ્દે મજૂર અધિકાર મંચના ૨૦૧૫ થી ચાલતા ઘણા સંઘર્ષ બાદ ગુજરાત સરકાર દ્વારા લઘુતમ વેતન ધારાના કાયદા હેઠળ ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ ધારાસભામાં જણાવ્યા અનુસાર આશરે ત્રણ લાખ કામદારો શેરડી કાપણી અને લોડીંગના કામમાં રોકાયેલા છે.આ ત્રણ લાખ કામદારોના લઘુતમ વેતન દરમાં તારીખ: 01/04/2023 ના દિવસથી અમલમાં આવે તે રીતે રાજ્ય સરકારે તારીખ 27/03/2023 ના રોજ જાહેરનામા ક્રમાંક KHR/2023/27/LVD/10/2013/137375(P.F)M(2) થી શેરડી કાપણીના મજૂરો માટે પ્રતિ ટન ₹ 476 ચૂકવાય તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. પરંતુ સુગર ફેકટરીઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન હાલે મજૂરોનું વેતન ચૂકવવાની કામગીરી ચાલી રહેલ છે ત્યારે લઘુતમ વેતન ૪૭૬ ₹ માંથી ૧૦૧ ₹ કાપવામાં આવી રહ્યા છે. જેનું એક ઉદાહરણ તાપી જિલ્લામાં આવેલ દાદરિયા શુગર છે આ સુગર દ્વારા તારીખ:૧૧/૦૩/૨૦૨૪ થી ૨૮/૦૩/૨૦૨૪ સુધી મજૂરી આપવાનું નક્કી કરેલ છે એમાં જણાય આવે છે કે લઘુતમ વેતન ૪૭૬ પ્રમાણે બિલ બનાવવમાં આવે છે પરંતુ એમાંથી ૨૧ ₹ અન્ય સવલત, ૮૦ ₹ મુકાદમનું કમિશન પ્રતિ ટન દીઠ કાપવામાં આવે છે અને મજૂરોને એક ટન દીઠ ૩૭૫ ₹ આપવામાં આવી રહ્યા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતની બધી સુગર ફેકટરીઓ માં લગભગ ૯૦ લાખ ટનનું ક્રશિંગ થવાનું છે, અને આવી રીતે બધી સુગર ફેકટરીઓમાં મજૂરી ચૂકવવમાં આવશે તો ગરીબ આદીવાસી મજૂરોનું ૯૧ કરોડ રૂપિયા ઓછું વેતન ચૂકવી શોષણ કરવામાં આવી રહ્યું છે. તારીખ:૧૧/૦૩/૨૦૨૪ ના દિવસે મજૂર અધિકાર મંચના પ્રતિનિધિઓ મંડળ દ્વારા દાદરિયા શુગર ફેક્ટરીના એમ.ડી અને સ્ટેટ મેનેજર તથા મેનેજમેન્ટ ને રૂબરૂ મુલાકાત કરી લઘુતમ વેતન કરતા ઓછું આપવામાં આવે છે એ બાબતે ચર્ચા કરવામાં આવી.ફેક્ટરી મેનેજર દ્વારા કહેવામાં આવ્યું કે “ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા લેટર બહાર પાડીને આ રીતે મજૂરી ચૂકવવા નક્કી કરવામાં આવ્યુ છે અમે પણ સંઘ ના કહ્યા અનુસાર જ મજૂરી ચૂકવી રહ્યા છે” આ રીતે શેરડી કાપણીના ગરીબ અને આદીવાસી મજૂરોનું સંગઠિત શોષણ કરવામાં આવી રહ્યું છે. આ બાબતે મજૂર અધિકાર મચ દ્વારા શ્રમ અધિકારી ગાંધીનગરને અગાઉથી આવેદન પત્ર આપી જાણ કરવામાં આવેલ હતી જેથી શ્રમ અધિકારીની હાજરીમાં મજૂરોનું વેતન ચૂકવવામાં આવે પરંતુ સરકાર તરફથી આ બાબતે કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી જેમાં સરકારનું વહીવટી તંત્ર જવાબદાર છે. સુગર ફેકટરી ઓ અને સહકારી વિભાગ, શ્રમ વિભાગ, ની મીલીભગત થી શેરડી કાપણી ના ગરીબ અને આદીવાસી મજૂરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. શું સરકાર દ્વારા બનાવવમાં આવેલ કાયદાઓનું આવી રીતે અમલ થશે કે જવાબદાર તંત્ર સાચા અર્થ માં લઘુતમ વેતન ની અમલવારી કરાવશે?
