ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે તાલુકા પંચાયત દ્વારા પ્રથમ દિવસે 15 દબાણો હટાવાયા હતા. જ્યારે બીજા દિવસે 5 જેટલા જ દબાણ હટાવ્યા હતા અને સમગ્ર ગ્રામજનો રસ્તા પર આવી આજીજી કરતા દબાણ ની કામગીરી બંધ કરવી પડી. જેથી જિલ્લાની ટીમ સાથે આ દબાણ હટાવવાની કામગીરી કરાવનાર છે. ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે 127 જેટલા નાના-મોટા કાચા-પાકા દબાણો મંગળવાર તાલુકા પંચાયત દ્વારા મોટા પોલીસ કાફ્લા સાથે સવારથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
ત્યારે પ્રથમ દિવસે 15 દબાણો હટાવ્યા હતા બીજા દિવસે મશીનરીમાં ખરાબી આવતા તેમજ ગ્રામજનો દ્વારા વિરોધ દર્શાવતા માત્ર પાંચ જેટલા દબાણો હટાવ્યા હતા . ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવી તંત્ર ને બે હાથ જોડી આજીજી કરી દબાણો તોડવાની વાત કરી હતી. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ દબાણો દૂર કરવા માટે આદેશ આપતા અને આગામી વધુ બે દિવસ માટે કાર્યક્રમ લંબાવતા તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવવા માટે જિલ્લાની ટીમ પણ અનાપુરછોટા ગામે આવશે અને તેમની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી કરનાર હોવાનું તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.
ગૌશાળા તોડાશે તો સરકાર સામે મોરચો માંડવો પડશે
અનાપુરછોટા ગામે દબાણ હટાવવા તમામ ટીમો કામગીરી કરી રહી છે ત્યારે ગૌચર એટલે ગાયોને ચરવા માટે નું હોય છે અને આ ગૌચર હાલમાં ગાયો માટે ગૌશાળા બનાવેલ છે. આ સરકારી અધિકારીઓ આ ગૌશાળા તોડવા માટે પણ કવાયત હાથ ધરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકો જાહેરમાં કહેતા હતા કે સરકાર તો ગાયો માટે કંઈ કરતી નથી અને પાંચ ગામ ની ગાયોને આ ગૌચરમાં ગૌશાળા બનાવીને રાખીને તેમને જીવાડી રહ્યા છે ત્યારે જો આ ગૌશાળા તોડા છે તો સરકાર સામે મોરચો માંડવો પડશે તેવું ગૌરક્ષક કરસનભાઈ પટેલે જણાવ્યું હતું