ધાનેરા ગામ ના નેનાવા ગામ ખાતે થી આજે જળશક્તિ અભિયાન યોજના અંતર્ગત જળસંચય માટે ના કામોની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે જિલ્લાના બે મુખ્ય જળાશય પાણી વગર કોરા કટ જોવા મળી રહ્યા છે. જેને લઇ જિલ્લાના મોટાભાગના ગામડામાં પ્રજા પાણી મેળવવા માટે મુશ્કેલી વેઠી રહી છે. જિલ્લામાં પાણીના તળ ઊંચા આવે તેને લઈ જિલ્લાની બનાસ ડેરી જળસંચયના કામોની વધુ મહત્વ આપી રહી છે. ત્યારે તેના અંતર્ગત ધાનેરા તાલુકાના નેનાવા ગામ ખાતે આવેલા કરાવ નામના તળાવને વધુ ઊંડું કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ સાથે નેનાવા દૂધ મંડળીના ચેરમેન મોહનભાઈ પટેલ, મંત્રી પરબત સિંહ દેવડા સાથે પશુપાલકો તેમજ ગામના આગેવાનોએ ઉપસ્થિત રહી બુદ્ધ પૂર્ણિમા ના દિવસે નાળિયેર વધેરી જળસંચયના કામોની શ્રી ગણેશ કર્યા હતા. વર્તમાન સમયમાં ધાનેરા તાલુકામાં સિંચાઇ અને પીવાના પાણીને લઇ વિકટ પરિસ્થિતિ આવી ગઈ છે. ત્યારે બીજી તરફ તાલુકામાં ખેતી પછી મુખ્ય વ્યવસાય પશુપાલન છે જેના કારણે પોતાના વ્યવસાયને બચાવવા માટે પશુપાલકો આગળ આવ્યા છે. જેઓ લોકભાગીદારીથી થતા જળસંચયના કામોમાં નેનાવા દૂધમંડળી સાથે પશુપાલકોએ તૈયારી બતાવતાં તળાવને ઉંડુ કરવા માટેના કામોની શરૂઆત થઇ હતી. આમ આગામી સમયમાં વરસાદના પાણી નો વધુને વધુ ગામના તળાવમાં સંગ્રહ થાય તે માટે જળશક્તિ અભિયાન અંતર્ગત કામ થઈ રહ્યા છે ત્યારે નેનાવા ગામના તળાવ તળાવને 12000 સીએમટી ખોદાઈ કરી તેને ઊંડું કરવામાં આવશે.