રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા ડી.બી.પારેખ હાઇસ્કૂલની બાજુમાં શુક્રવારે આયુષ મેળાનું આયોજન કરાયું હતું. આ આયુષ મેળાનો 11780 લોકોએ લાભ લીધો હતો. ધાનેરા શહેરમાં જિલ્લા આર્યુવેદીક અધિકારી દ્વાર આયુષ મેળાનું આયોજન ધાનેરાની તાલુકા પ્રાથમિક શાળા ખાતે કરાયું હતું. આયુષ મેળાનો સમય પત્રિકામાં સવારે નવ કલાકનો જણાવવામાં આવ્યો હતો. જો કે પોતાના નિર્ધારિત સમય કરતાં ચાર કલાક પછી આયુષ્ય મેળાને ખુલ્લો મુકવામાં આવતા મોટાભાગનાં લાભાર્થીઓ મેળાને જોયા વિના પરત ફર્યા હતા. જે ઉદ્દેશ્ય સાથે આયુષ મેળાનું આયોજન કરાયું હતું એ ઉદ્દેશ્ય સાર્થક થયો ન હતો. ધાનેરા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ કલાકો સુધી રાહ જોઈ આખરે મેળો મૂકી ચાલતા થયા હતા.આયુર્વેદ અધિકારી વૈદ્ય જયપ્રકાશ એન.મોઢ દ્વારા આયુષ મેળા અને આયુષની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય માવજીભાઇ દ્વારા લોકોને આયુષ ચિકિત્સા અપનાવવા આહવાન કર્યું હતું. આયુષ મેળામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા સૂર્યનમસ્કાર તેમજ અન્ય યોગાસનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તથા ડૉ.એમ.એસ.અગ્રવાલ આરોગ્ય ભારતીના અધ્યક્ષ સરસ્વતી હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.