ધાનેરા શહેરથી રાજસ્થાન રાજ્યનાં સાંચોર તરફ જતો નેશનલ હાઇવે માર્ગ પર વાહન ચાલકોને ચાલવું જોખમી બની ગયું છે. છેલ્લા 15 દિવસ દરમિયાન આવેલા વરસાદના કારણે ધાનેરા તાલુકાના થાવર ગામથી કોટડા ગામ અને વિંછીવાડી ગામથી રાજસ્થાન રાજ્યની સરહદને જોડતા માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકો ઉપરાંત રામદેવરા જતા પદ યાત્રિકોને ભારે મુશ્કેલી વેઠી નેશનલ હાઇવે પસાર કરવો પડી રહ્યો છે.
ટેક્ષ ભરી વાહન હંકારતા વાહન ચાલકોને જીવના જોખમે રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે.
ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામથી નેનાવા ગામ સુધીનો નેશનલ હાઇવે બંજર બની ગયો છે. નેશનલ હાઇવે પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર પડેલા પથ્થર નાના વાહન ચાલકોને ઈજાઓ પહોંચાડી રહ્યા છે. 2019 નાં વર્ષમાં બનેલા નેશનલ હાઇવેને દર ચોમાસે રીપેરીંગ કરવો પડે છે. નેશનલ હાઇવેની ગુણવત્તા અને મજબુતી કેવી છે એ આ ખાડા પુરાવો આપી રહ્યા છે.
વાહન ચાલકો સરકાર અને સરકારી તંત્ર પાસે નેશનલ હાઇવેના રીપેરીંગની માંગ કરી રહ્યા છે.