રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
લોકસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણી દરમિયાન પાણી માટે આપેલા વચનો યાદ કરાવવા અને ધાનેરાને પાણી આપવા માટે ધાનેરા તાલુકાના યુવાનો દ્વારા મંગળવારે મામલતદારને આવેદનપત્ર આપી, સીપુ તેમજ દાંતીવાડા ડેમનું પાણી ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાને મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ધાનેરા ખાતે કેટલાક યુવાનો ભેગા થઈ ધાનેરા તાલુકા વતી પાણીની માંગ સાથે આગળ આવ્યા છે. મંગળવારે ધાનેરાના લાલચોક ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અને ધાનેરા મામલતદારને આવેદન પત્ર આપવામા આવ્યુ હતું.
તેમણે જણાવ્યું હતુ કે, ધાનેરા તાલુકામા પાણીનો કકળાટ છે. ગુજરાત રાજ્યમાં બેઠેલ સત્તા પક્ષને પણ ખબર છે. છતાં પણ આજ દિન સુધી પાણીની સમસ્યા હલ થાય એ દિશામા કામ થયું નથી. ધાનેરાના ખેડૂત અને સામાજિક આગેવાન હરનાથભાઈ ધૂણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી વખતે રાજનેતાઓ ધાનેરાને પાણી આપવાના જુઠ્ઠા વચનો આપતા હોય છે. ધાનેરાની ભોળી પ્રજા આ રાજનેતાઓની વાતમાં આવીને તેમને મત પણ આપતી હોય છે. પરંતુ જીત્યા પછી આ લોકો પોતાની વાત ભૂલી જાય છે. વર્તમાન ધારાસભ્યએ તો ચૂંટણી વખતે મોટા પ્રલોભનો આપ્યા હતા કે, જો ધાનેરાને પાણી નહીં મળે તો હું ધાનેરાની પ્રજા સાથે ગાંધીનગર સુધી પદયાત્રા કરીને પણ ધાનેરાને પાણી અપાવીશ. પરંતુ ધારાસભ્ય બન્યાને દોઢ વર્ષ જેટલો સમય વિતવા છતાં આ ધારાસભ્યને પાણીનું યાદ આવતું નથી. અગાઉ જાણવા મળ્યું હતું રૂપિયા 1400 કરોડની યોજના અંતર્ગત ધાનેરાને પાણી આપવામાં આવશે. પરંતુ બાજુના તાલુકામાં પાણી અપાઈ ગયું તો, ધાનેરાને કેમ નહીં. આવનારા સમયમાં જો ધાનેરાને પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સીપુ તેમજ દાંતીવાડા ડેમનું પાણી ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાને મળે તેવી માંગ સાથે આવેદન.