પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બનાસકાંઠા અને રાજસ્થાનમાં બીપરજોય વાવાઝોડાએ ખાના – ખરાબી સર્જી હતી. જ્યાં ધાનેરા તાલુકાના 35 જેટલા રસ્તાઓનું ધોવાણ થયું હતુ. જેમાં રાજસ્થાન બોર્ડરે આવેલું ખાપરોલ ગામ હજુ પણ સંપર્ક વિહોણું છે.
ધાનેરા તાલુકાના 35 જેટલા રસ્તાઓ ઉપર ધોવાણ થવાના કારણે વાહનોની અવર જવર બંધ થતાં કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જેમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત ના સૌથી વધારે 28 રસ્તાનું ધોવાણ થવા પામ્યુ હતુ. જ્યારે સ્ટેટ વિભાગના 5 રસ્તાઓ અને નેશનલના 2 રસ્તાઓનું ધોવાણ થતાં નેસનલ હાઇવે ઉપર મોટા વાહનો જે રાજસ્થાન તરફ થી આવતા હતા તેમને સાંચોરથી થરાદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, મોટાભાગના રસ્તાઓ ચાલુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ ખાપરોલ ગામ હજુ પણ ગુજરાતથી સંપર્ક વિહોણું છે.
રસ્તા બંધ હોવાથી આ ગામમાં તલાટી કે કોઇ અન્ય અધિકારી પણ પહોચ્યા નથી. આ અંગે ગ્રામજન નવિનભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગામમાં રાજસ્થાનનું તેમજ ગોલા નદીનું પાણી પડવાના કારણે કેટલાય લોકો ઘર વિહોણા બન્યા છે. ગુજરાતમાં આવતા તમામ રસ્તા બંધ થઇ ગયેલ છે. જેના કારણે અમે વાહન લઇને બહાર પણ જઇ શકતા નથી. આજ સુધી સરકારી તંત્ર ફરક્યુ પણ નથી ..
ધાનેરાપંથકની 16 શાળાઓમાં પાણી ભરાઇ ગયું બિપરજોય વાવાઝોડાના કારણે ધાનેરાના ગ્રામિણ વિસ્તારોમાં ખાના- ખરાબી સર્જાઇ હતી. જેમાં પ્રાથમિક શાળાઓને પણ નુકસાન થયું છે. ધાનેરા તાલુકાના જડીયાની પટેલવાસ પ્રા.શાળા, ભાટીબ, ડુગડોલ, શેરગઢ, પેગીયા, કુવારલા, ભાંજણા, નેનાવા, અનાપુરગઢ, ગોલા, ખાપરોલ, મગરાવા ગામની અંદરની શાળા તેમજ અન્ય શાળાઓ મળીને 16 જેટલી શાળાઓમાં આ વરસાદી પાણી ભરાઇ જવાના કારણે શાળામાં પડેલ સામાન પણ ખરાબ થયો છે. શાળાઓમાં માટી તેમજ ગંદકી ભરાઇ ગઇ છે. કેટલીક શાળાઓમાં સફાઇ માટે મજુર ન મળતા શિક્ષકો સફાઇ કરતા જોવા મળ્યા હતા. આ અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને પુછતા તેઓને પણ પુરતી ખબર ન હોવાનું જણાવ્યું હતુ.