ધાનેરા તાલુકાના થાવર ગામે દહેજ બાબતે સાસરીયાઓ અવાર નવાર માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હોવાથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલુ કરતાં મૃતકના ભાઇએ ધાનેરા પોલીસ મથકે પરિણીતાના પતિ, સસરા, સાસુ અને નણદ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ધાનેરા તાલુકાના થાવર ગામે રહેતા સાગરભાઇ મહાદેવભાઇ બારોટના લગ્ન સાતેક વર્ષ અગાઉ રાજસ્થાનના રેવદર તાલુકાના જેતાવાડા ગામના દલપતભાઇ રાવની દીકરી સરસ્વતી સાથે થયા હતા. પરંતુ સરસ્વતીબેનના સાસરીયાઓ અવાર નવાર પિતાના ઘરથી કોઇ દાગીના કે દહેજ લાવેલ નથી તે બાબતે અનેકવાર મેણા ટોણા મારતા હતા.અને વધુને વધુ ત્રાસ આપવામાં આવતા આ યુવતીએ 17 ડિસેમ્બરના રોજ ઝેરી દવા ગટગટાવી જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લવાઇ હતી અને યુવતીના ભાઇ વિજયભાઇને જાણ કરવામાં આવતા તે તાત્કાલિક ધાનેરા આવ્યા હતા અને પોતાની બેનની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુર લઇ જવાઇ હતી અને ત્યાં સરસ્વતીબેને છેલ્લા શ્વાસ લીધા હતા. જેથી યુવતીના ભાઇએ પોતાની બહેનને દહેજ બાબતે માનસિક અને શારિરીક ત્રાસ આપતા બહેનના પતિ સાગરભાઇ મહાદેવભાઇ બારોટ, મહાદેવભાઇ ગમનાજી બારોટ (સસરા), રંજુબેન મહાદેવભાઇ બારોટ (સાસુ), શશીબેન મહાદેવભાઇ બારોટ(નણંદ) સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.