‘વસુંધરાની વાણી’ ઉપક્રમનો સમાપન કાર્યક્રમ યોજાયો
શેત્રુંજીની છાયામાં ‘વસુંધરાની વાણી’ ઉપક્રમમાં માઈધાર ગામે યોજાયેલ કાર્યક્રમમાં શ્રોતા-દર્શક બનેલાં મહાનુભાવો પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને નાચ્યાં હતાં.
જાણીતા સર્જક શ્રી ધ્રુવ ભટ્ટના આયોજન અને કાર્યકર્તા ગાયક શ્રી શબનમ વિરાણીના સંકલન સાથે ત્રિદિવસીય ‘વસુંધરાની વાણી’ કાર્યક્રમોમાં સણોસરા, માંડવડા, બેલા, માંડવાળી, ટીમાણા તથા માઈધાર ખાતે દેશના વિવિધ ભાગના લોક કલાકારોએ વિવિધ સ્થાનિક ભાષાની ભજન અને લોકવાણી પ્રસ્તુત કરી હતી.

રવિવારે સાંજે માઈધાર ખાતેના કાર્યક્રમમાં આ કલાકારોએ પોતાની કળાની પરાકાષ્ઠાએ પ્રસ્તુતિ કરી જ્યાં શ્રી ધ્રુવ ભટ્ટ, શ્રી અરુણભાઈ દવે, શ્રી નલિનભાઈ પંડિત, શ્રી મહેન્દ્રસિંહ પરમાર સહિત સ્થાનિક આગેવાન કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગ્રામજનો પોતાના પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને ખૂબ નાચ્યાં હતાં.
એક એ પણ વાત છે કે, આ વેળાએ બંગાળી કલાકારોએ રજૂ કરેલ બંગાળી ગાનના એક પણ શબ્દો કોઈ સમજતું ન હતું. છતાં, પણ તેના સંગીત સાથેના સુર અને તાલથી સૌ ઝૂમતા રહ્યાં હતાં.
આ લોકવાણીના ઉત્સવમાં લોકભારતીના શ્રી હસમુખભાઈ દેવમુરારી, લોકનિકેતન રતનપરના શ્રી કિરણભાઈ વગેરે સાથે ગુજરાત તથા દેશના અન્ય ભાગના રસિકો સાથે રહ્યાં હતાં.