વિધિના બહાને પૈસા પડાવ્યાનો પર્દાફાસ થતાં ભૂવાઓએ પીડિત પરિવારની માફી માગી રૂ.35 લાખ પરત આપી દીધા

ધાનેરાના ગોલામાં એક પીડિત પરિવાર પાસેથી દુખ દૂર કરવાના બહાને 35 લાખ પડાવ્યા હતા

ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા આપી દુઃખો દૂર કરવાની લાલચ આપી 35 લાખ રુપિયા અને ચાંદીની પાટો પાડી લીધાનો કિસ્સો બહાર આવતા અર્બુદા સેના તેમજ અન્ય આગેવાનો દ્વારા આ મામલે એકત્ર થતાં આ તમામ રકમ એક આગેવાન દ્વારા પરત કરાવવામાં આવી છે. શંકર ભુવાએ વિડીયો જાહેર કરીને કહ્યું “મારા થકી દુઃખ લાગ્યું હોય તો અઢારે આલમની હું માફી માગું છું” ગોલા ગામમાં ભૂવાઓએ દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે તેમ કહી 35 લાખ અને 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટો પણ આપી હતી.
બાદમાં પોલીસ મથકે અરજી આપતા સમગ્ર મામલો સામેઆવ્યો હતો. આ મામલે અહેવાલ પ્રસિદ્ધ થતાં સમગ્ર ઘટનાના સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અર્બુદા સેના તથા સમાજના અગ્રણીઓ તેમજ જીવાણા મઠના સંત રતનગીરીજી મહારાજ આ પરીવારના ઘરે પહોચ્યા હતા અને તેને હૈયા ધારણા અપી હતી. ધાનેરાના એક રાજકીય અગ્રણીને સાથે રાખી સમાધાન કરવા માટે પહોંચ્યા હતા. અને બુધવારે રાત્રે સમાજના આગેવાનોની વચમાં બેસી તમામ રકમ અને દાગીના પરત આપવામાં આવ્યા હતા. અને તેની તસવીર પણ લેવાઈ હતી.

સંત રતનગીરીજી મહારાજ એ જણાવ્યું કે તાલુકામાં કેટલાય પાખંડી ભૂવાઓ છે માટે આવા ભૂવાઓથી સાવધાન રહેવાની જરુર છે. કોઇપણ સાચા સંત કે સાચા ભૂવા ક્યારેય કોઇ પાસે રુપિયા માંગતા નથી.તમામ સમાજે સાવધાન રહેવાની જરુર છે.વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે “ખોટા ધતંગ કરતા ભૂવાઓની વાતોમાં આવવુ નહી અને જો આવા કોઇ હોય તો અમારી સંસ્થાનો સંપર્ક કરવો.
કોઇપણ ભૂવાઓ એ લોકોને લૂટ્યા હોય તો પોલીસને જાણ કરો
“ધાનેરા તાલુકામાં જે કોઇ લોકોને આવા ભુવાઓએ લુટ્યા હોય તેમની સામે પોલીસ મથકે અથવા વિજ્ઞાન જાથાને જાણ કરવી જોઇએ અને આવા પાખંડી લોકોથી પોતે પણા બચીએ અને બીજા લોકોને પણ બચાવીએ. – અશોકભાઇ પટેલ (અગ્રણી અર્બુદા સેના)
વીડિયો જાહેર કરીને શંકર ભુવાએ કહ્યું મારા થકી દુઃખ લાગ્યું હોય તો અઢારે આલમની માફી માગું છું

પોલીસે કહ્યું: અરજી પાછી ખેંચી પરિવારે સમાધાન કર્યું છે તપાસ પૂરી નથી થઈ,બીજા કોને ખંખેર્યા છે તે તપાસ થશે
ધાનેરાના ગોલા ગામે જે ઘટના બની છે તે બાબતે અરજી પાછી ખેચવામાં આવી છે. પરંતુ પોલીસ દ્વારા આવા લોકોની તપાસ ચાલુ છે અને આ ભુવાઓ એ બીજા લોકોને પણ કેટલા લુટ્યા છે તે પણ પુછપરછ કરવામાં આવશે. માટે અરજી પાછી ખેચવાથી પોલીસની તપાસ બંધ થતી નથી. તેમજ બીજા પણ કોઇ ભુવાઓએ લોકો પાસેથી રુપિયા પડાવ્યા હોત તો તે ધાનેરા પોલીસ સ્ટેસન ખાતે 02748-222222 ઉપર સંપર્ક કરે શકે છે. – એ.ટી.પટેલ (પી.આઇ.)

બધા પૈસા પરત આવી ગયા:પીડિત પરિવાર

મારા ભાણેજના ઘરે આ ભુવાઓએ પાટ કરીને દુ:ખ દુર કરવા માટેના 35 લાખ રોકડ તેમજ દાગીના લીધા હતા તે બુધવારે રાત્રે પરત આપ્યા છે. અને ભુવાના સબંધીઓ આવતા આ મામલે ફરીયાદ ન કરવાનુ જણાવતા અમે આપેલી અરજી પાછી ખેંચી છે. આ પરીવારે આ રુપિયા તેમના સગા સબંધીઓ પાસેથી અંગત જરુર માટે કહીને લાવ્યા હતા. બીજા કોઇ લોકો આવા ખોટા ભુવાઓ ના ચુંગલમાં ન આવે તેવી અમારા પરિવારની વિનંતી છે. – મફાભાઇ પટેલ( પીડિત પરીવારના મામા)

Comments (0)
Add Comment