ધાનેરા શહેરમાં અંબિકા શોપિંગ સેન્ટર ની બે દુકાનમાં રવિવારની રાત્રીના સમયે કોઈ શખ્સોએ તાળા તોડ્યા હતા અને તે અંગેની જાણ સવારે વેપારીઓને થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ બાબતે પોલીસ મથકે મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. ધાનેરા શહેરમાં આવેલ અંબિકા શોપિંગ સેન્ટરમાં આવેલી ભવાની ટ્રેડિંગ અને સામીજી કૃપા માર્કેટિંગ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. આ બંને દુકાનોના તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભવાની ટ્રેડિંગ ના માલિક ભવાનીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ‘પોતાની દુકાનના ગોડાઉનના તાળા તોડી તેમાંથી 50 કટ્ટા ઘઉંની ચોરી થવા પામી છે’
જ્યારે બીજી સ્વામીજી કૃપા માર્કેટિંગ ના માલિક વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે’પોલીસે અંદર જવાની ના પાડી છે એટલે દુકાનમાંથી કેટલો માલ ગયો તે હજુ જાણી શકાયું નથી’. પોલીસ દ્વારા ચોરીનું પગેરૂ શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. જ્યારે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોર્ડ ની મદદ લેવા માટે ઉપરી કચેરી ખાતે જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે મોડી સાંજ સુધી આ બાબતે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેવું પોલીસ એ જણાવ્યું હતું.