આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, બનાસકાંઠા તથા કુંભાસણ હાઇસ્કૂલ, કુંભાસણ ના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો
તા. 20 ડિસેમ્બર, 2021ને સોમવારે કુંભાસણ હાઇસ્કૂલ ખાતે અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ગિરીશભાઈ ઠાકર (ગુરુ) તથા જાણીતા જ્યોતિષશાસ્ત્રી અને ઇતિહાસ અન્વેષક ડો. જગદીશભાઈ મહેતાનાં વ્યાખ્યાન યોજાઈ ગયાં. શ્રી મહેતા સાહેબે સ્વાતંત્ર્ય સમરમાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા 75 અજાણ્યા કે ઓછા જાણીતા ક્રાંતિકારીઓની વિગતો સાથે એમના યોગદાનને બિરદાવ્યું.
શ્રી ગિરીશભાઈ ઠાકર સાહેબે પોતાના મનનીય પ્રવચન દ્વારા આત્મ ગૌરવ અને રાષ્ટ્ર ગૌરવને પરસ્પર સાંકળી ભારત માતાની જય કઈ રીતે સાર્થક થાય તે સમજાવ્યું. ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠો ઉપર સ્થાન તો શું, તેમાં નાનકડો ઉલ્લેખ સુદ્ધાં ન પામેલાં અનેક ક્રાંતિવીર અને વીરાંગનાઓના બલિદાનની વાતો જાણી બધાં જ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફને વિસ્મયસહિત ગૌરવાનુભૂતિ થઈ.
અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, બનાસકાંઠા સમગ્ર જિલ્લામાં આવા અનેક કાર્યક્રમો કરવા ઈચ્છે છે. રસ ધરાવતી શૈક્ષણિક કે અન્ય સંસ્થાઓએ સમિતિના જિલ્લા મંત્રી તથા કુંભાસણ હાઇસ્કૂલના આચાર્ય શ્રી દીપકભાઈ જોષીનો સંપર્ક કરવો.