વડગામની એક સ્કૂલમાં એક છાત્રએ તેના મિત્ર પર સ્કૂલમાં પાણી છાંટતા સ્કૂલના સંચાલકે વિધાર્થીને સ્ટાફ રૂમમાં બોલાવી આચાર્યની સામે જ બેઝબોલના ધોકા વડે માર મારતાં પાછળ ગુપ્ત ભાગે લોહીના ચકમા જામી ગયા હતા. છાત્રના પરિવારજનોએ સિવિલ દાખલ કર્યો હતો. જ્યાં તેના પિતાએ વડગામ પોલીસ મથકે સંચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
ગેલેક્સી સ્કૂલમાં વડગામના પટેલ સરદાર ભાઈ માનજીભાઈ નો દીકરો નૈતિક કુમાર ધોરણ સાત માં અભ્યાસ કરે છે. જેને સ્કૂલના સંચાલકે ઢોર માર મારતા તેના પિતા સરદારભાઈ એ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બર ના સાંજના સમયે સરદારભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમનો દીકરો નૈતિક ખાટલામાં સૂતો હતો. જેને લઇ સરદારભાઈએ પૂછ્યું કે શું થયું છે.ત્યારે દીકરા નૈતિકએ જણાવ્યું હતું કે મારી સ્કૂલના સંચાલક કાનજીભાઇએ મને માર માર્યો છે. તેવું જણાવતા તેમણે દીકરાના શરીરના પાછળના ગુપ્ત ભાગે જોતા કાળા ડાઘા પડી ગયા હતા.
નૈતિકએ જણાવ્યું કે હું મારે સ્કૂલમાં મારા મિત્ર ઉપર પાણી છોટેલ જેથી તેણે શાળાના સંચાલક કાનજીભાઇને વાત કરતા તેઓએ મને શાળાના સ્ટાફ રૂમમાં બોલાવેલ અને સ્ટાફ રૂમની અંદર બોલાવી આચાર્ય જિજ્ઞાષાબેન ચૌધરી તેમજ ડિમ્પલબેન ચૌધરી નામની શિક્ષિકાની હાજરીમાં કાનજીભાઈ ચૌધરીએ બેઝ બોલનો ધોકો લઈને ઢોર માર માર્યો હતો. શિક્ષિકાઓ હાજર હોવા છતાં સંચાલકને રોકાવાની હિંમત રાખી ન હતી. અને મને કહેવા લાગ્યા કે તે તારા ઘરે જઈ કોઇને આ વાત કરતો નહી નહીં, હવે પછી સ્કુલમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઅો આપી હતી. જે વાત દીકરાએ તેના પિતાને કરતા પરિવારજનોએ વડગામ સરકારી દવાખાને દાખલ કર્યો હતો. અને તેમને વડગામ પોલીસ મથકે ગેલેક્સી સ્કૂલના સંચાલક કાનજીભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.