ગિરિમથક ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો રંગારંગ પ્રારંભ

રિપોર્ટર નરેન્દ્ર પવાર બૌદ્ધિક ભારત ડાંગ

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેમ જણાવતા રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ, પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.શ્રી મુળુભાઇ બેરાએ, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીય સુવિધાઓના વિકાસ માટે વિશેષ ધ્યાન આપી રહી છે તેમ જણાવી, રોડ અને રેલ્વેની શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓ, શાંતિ અને સુરક્ષાને કારણે ગુજરાત, પ્રવાસીઓની પસંદગીનું સ્થળ બન્યું છે તેમ કહ્યું હતું.ગિરિમથક સાપુતારા ખાતે ‘મેઘ મલ્હાર પર્વ’ નો પ્રારંભ કરાવતા મંત્રીશ્રીએ સગર્વ જણાવ્યું હતું કે, ગત ઉનાળુ વેકેશનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર બે મહિના દરમિયાન એક કરોડ પાંત્રીસ લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. જે ગત વર્ષની તુલનામાં ૧૭ ટકાથી વધુ છે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર ‘કૈલાશ માનસરોવર યાત્રા’, ‘સિંધુ દર્શન યાત્રા’ સહિત ‘શ્રવણ તીર્થ યાત્રા’ જેવી યોજનાઓમા પણ આર્થિક સહાય આપી રહી છે તેમ જણાવી, ‘સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ કરવામાં આવ્યો છે, તેમ જણાવ્યું હતું.

Comments (0)
Add Comment