રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 26 મે 2024ના રોજ આગ સલામતી ના સાધનો ની મોક-ડ્રીલ સાથે સંપૂર્ણ ફાયર સેફ્ટી સિસ્ટમની સમીક્ષા અને રાજકોટ અગ્નિ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. જેમાં સાયન્સ સેન્ટર ના સ્ટાફમિત્રો સાથે 200 થી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી સાયન્સ સેન્ટર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે. તેમણે સાયન્સ સેન્ટરમાં પધારેલ મુલાકાતીઓને જાગૃત કરતા જણાવ્યું કે દરેક લોકોએ ગમે ત્યાં ફરવા જાય તો સૌપ્રથમ ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થા અને ઇમરજન્સી એક્ઝિટ ગેટની ખાતરી કરી લેવી જોઈએ. ત્યારબાદ તેમણે સાયન્સ સેન્ટરના એડવાન્સ સેન્સર આધારિત આગ સલામતી સુરક્ષા પ્રણાલી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ સહભાગીઓએ બે મિનિટના મૌન પાળીને રાજકોટ અગ્નિ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.