પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાના વાલેર ગામે સુંદરપુરી મહારાજના દર્શન શુક્રવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિતના આગેવાનો આવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે થરાદ તાલુકાની જેમ ધાનેરા તાલુકાના તળાવોમાં નર્મદાના પાણીથી ભરાશે તેમ જણાવ્યું હતું.
ધાનેરા તાલુકાના યાત્રાધામ સમા વાલેર ગામમાં શુક્રવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂજ્ય સુંદરપૂરી મહારાજના દર્શને આવ્યા હતા. વાલેર ગામમાંદર પાંચમનાં રોજ સુંદરપૂરી મહારાજની જીવંત સમાધિ મંદિર પર મેળો ભરાય છે. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ સહિતના આગેવાનો સહિત સાધુ-સંતોની પણ હાજરી જોવા મળી હતી. મંદિરના મહંત સુખદેવપૂરી મહારાજએ શંકરભાઈ ચૌધરીનું ધાનેરા તાલુકા વતી સન્માન કર્યું હતું. ધાનેરા તાલુકામાંથી સિંચાઇના પાણી માટેની માંગણી વેગ પકડી રહી છે. ત્યારે શંકરભાઈ ચૌધરીએ ધાનેરા તાલુકાના તળાવો ભરવા માટે રાજ્ય સરકારે 1400 કરોડનું આયોજન કર્યું છે તે યાદ અપાવ્યું હતું અને થરાદ તાલુકાની જેમ ધાનેરા તાલુકાના તળાવો પણ નર્મદાના પાણીથી ભરાશે તેવું જણાવ્યું હતું.