ધાનેરાના રમુણામાં રસ્તા પર થતી ગંદકીથી લોકો પરેશાન

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના રમુણા ગામે છેલ્લા કેટલાય સમયથી ગામમાં વળતા રસ્તા ઉપર પારાવાર ગંધકીના કારણે લોકો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે. તેમજ હાલમાં વહીવટદાર હોવાથી કોઇ કામ પણ થતા નથી. જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના રમુણા ગ્રામ પંચાયતમાં સરપંચ ન હોવાના કારણે વહીવટદાર નિમવામાં આવ્યા છે. પરંતુ જ્યારથી વહીવટાદાર આવ્યા છે ત્યારથી ગામમાં ભારે ગંધકી જોવા મળી રહી છે તેમજ સફાઇ બાબતે પણ કોઇ ધ્યાન આપવામાં આવતું ન હોવાથી ગામમાં વળતા મુખ્ય રસ્તા ઉપર ગંદા પાણી ભરાઇને પડ્યા રહેતા લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યુ છે. તેમજ આ ગંધકીના કારણે ગામમાં આ ચોમાસાના સમયમાં પાણીજન્ય રોગચાળો ફાટવાની પણ દહેશત જોવા મળી રહી છે. આ ગામમાં વહીવટદાર તેમજ તલાટી ન આવતા હોવાની પણ બુમરાડ ઉઠવા પામી છે. જેથી આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તપાસ કરીને ઘટતું કરે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ અંગે ગામના અણદાભાઇ પટેલએ જણાવ્યું હતું કે પહેલા ગૃપ ગ્રામ પંચાયત હતી અને તે પછી ગામ જુદા પડતા વહીવટદાર નિમવામાં આવ્યા છે પરંતુ વહીવટદાર અને તલાટીની નિષ્કાળજીના કારણે સફાઇ ન થવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

Comments (0)
Add Comment